૦૫ કડી પૈકી એક કડીને રાષ્ટ્રગાન તરીકે લેવામાં આવી છે
-૫૨ સેકન્ડનો સમય ‘જન ગણ મન’ ગાવા માટે લાગે છે
-૨૦ સેકન્ડનું ગાન કેટલાક પ્રસંગોએ ગવાય છે, જે પ્રથમ અને અંતિમ પંક્તિનું બનેલું છે

‘જન ગણ મન’ ભારતનું રાષ્ટ્રગાન છે. ૨૭ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ‘જન ગણ મન’ સૌપ્રથમવાર જાહેરમાં ગવાયું હતું જેને આજે ૧૦૦ વર્ષ પૂરા થયા છે. નોબેલ પારિતોષિક વિજેતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સંસ્કૃત સાથેની બંગાળી ભાષામાં આ ગીત લખ્યું છે. દેશનું બંધારણ ઘડવા માટે રચાયેલી બંધારણીય સભાએ ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આ ગીતને રાષ્ટ્રગાન (નેશનલ એન્થમ) તરીકે સત્તાવાર રીતે સ્વીકૃતિ આપી હતી.

ટાગોરે ‘જન ગણ મન’ ગાયું અને કોલેજે તેને પ્રાર્થના ગીત બનાવ્યું

ટાગોરે ૧૯૧૧માં ‘જન ગણ મન’ ગીત લખ્યું હતું. તે સમયે ટાગોર બ્રહ્નોસમાજની પત્રિકા ‘તત્વબોધ પ્રકાશિકા’ના તંત્રી હતા. આ પત્રિકા માટે તેમણે આ ગીત લખ્યું હતું. આથી શરૂઆતમાં આ પત્રિકાના વાચકો સિવાય કોઈ રાષ્ટ્રગાનથી વાકેફ ન હતું. ત્યારબાદ એ જ વર્ષમાં કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં જાહેરમાં આ ગીત સૌપ્રથમવાર ગવાયું. ૧૯૧૯માં રવીન્દ્રનાથના મિત્ર અને આયર્લેન્ડના કવિ જેમ્સ કઝીન્સના આગ્રહથી બેસન્ટ થિયોસોફિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ સમક્ષ ટાગોરે ૨૮ ફેબ્રુઆરી, ૧૯૧૯ના રોજ જન ગણ મન ગીત બંગાળીમાં ગાયું. તેની ભારે પ્રશંસા થઈ અને કોલેજના પ્રાર્થના ગીત તરીકે આ ગીત પસંદ કરી લેવાયું. ત્યારપછી દેશભરમાં તે પ્રચલિત થઈ ગયું અને નેશનલ એન્થમ બની ગયું. 

‘જન ગણ મન’ સંગીતબદ્ધ પણ થયું

મૂળભૂત રીતે‘જન ગણ મન’ બંગાળી ભાષામાં તૈયાર કરાયું હતું અને પછી તેનો ટાગોરે જ અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. તેમણે આંધ્રના ચિત્તૂર જિલ્લાના મદનાપલ્લી ગામમાં અનુવાદ કર્યો. એટલું જ નહીં, કઝીનનાં પત્ની સાથે મળીને તેને સંગીતબદ્ધ પણ કર્યું.

શું ધ્યાનમાં રાખશો

રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ વિવિધ પ્રસંગે-પર્વએ ગવાતું હોય છે. તે અંગેની કેટલીક સૂચનાનું પાલન કરવું ખાસ જરૂરી છે. આ પૈકી મુખ્ય બાબત ગીત ગાતી વખતે તેનો રાષ્ટ્રગાન તરીકે સંપૂર્ણ આદર કરવો. રાષ્ટ્રગાન ઊભા રહીને ગવાતું હોય છે. આ અંગે સરકારે વિસ્તૃત માર્ગદિર્શકા પણ બહાર પાડી છે. સમૂહમાં ‘જન ગણ મન’ સંપૂર્ણ ગાવાનું હોય છે. 

વિવાદ

દેશના રાષ્ટ્રધ્વજથી લઈને રાષ્ટ્રગાનની રચના સુધીની અનેક બાબતો વિવાદોથી ઘેરાયેલી છે. દેશના બે નામ(ઈન્ડિયા અને ભારત)નો વિવાદ પણ છે. રાષ્ટ્રગાન અંગે એવું કહેવાય છે કે રવીન્દ્રનાથ ટાગોરે ડિસેમ્બર ૧૯૧૧માં એવા સમયે આ ગીતની રચના કરી હતી જે સમયે અંગ્રેજ રાજા જયોર્જ પંચમનો રાજ્યાભિષેક થવાનો હતો. આથી એક વર્ગ એવું માને છે કે ટાગોરે રાજા જયોર્જ પંચમની પ્રશંસામાં ‘જન ગણ મન’ ગાયું હતું, ઈશ્વરની પ્રશંસામાં નહીં

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 
મારું કામ ગમતું કામ © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top